ખેરગામ ગ્રામ પંચાયતમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી
ખેરગામ ગ્રામ પંચાયત ખાતે વિશ્વ પર્યાવરણદિવસની ઉજવણી અનોખા અને પ્રેરણાદાયી રીતે કરવામાં આવી. સરપંચશ્રી ઝરણાબેન પટેલની અધ્યક્ષતામાં આયોજિત ગ્રામસભામાં ગ્રામજનોને વૃક્ષછોડનું વિતરણ કરીને પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરાયો.
આ કાર્યક્રમમાં ગામના તલાટી કમ મંત્રીશ્રી ચેતન ગડર, ગ્રામ પંચાયતના સભ્યો, મનરેગાના કામદારો, ગામના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પ્રસંગે સરપંચશ્રી ઝરણાબેન પટેલે પર્યાવરણના મહત્વ પર ભાર મૂકતાં જણાવ્યું કે, “વૃક્ષો એ આપણા જીવનનો આધાર છે. તેમના રોપણ અને સંરક્ષણથી જ આપણે આવનારી પેઢી માટે શુદ્ધ હવા અને સ્વસ્થ પર્યાવરણની ભેટ આપી શકીશું.” તેમણે ગ્રામજનોને વૃક્ષોની સંભાળ રાખવા અને દરેક વ્યક્તિએ ઓછામાં ઓછું એક વૃક્ષ રોપવાની પ્રતિજ્ઞ લેવા અનુરોધ કર્યો.
કાર્યક્રમમાં ફળદ્રુપ અને છાયાદાર વૃક્ષોના રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું. ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક આ રોપાઓ લઈને તેમના ઘરો, ખેતરો અને જાહેર સ્થળોએ રોપવાનું વચન આપ્યું.
તલાટીશ્રી ચેતન ગડરે પણ ગ્રામજનોને વૃક્ષોના રક્ષણ અને પાણીના સંચય જેવા પર્યાવરણલક્ષી પગલાં લેવા પ્રોત્સાહિત કર્યા.
આ ગ્રામસભામાં ગામના બાળકો અને યુવાનોએ પણ સક્રિય ભાગ લીધો, જે પર્યાવરણ પ્રત્યેની તેમની જાગૃતિ દર્શાવે છે. મનરેગાના કામદારોએ જાહેર સ્થળોએ વૃક્ષારોપણની જવાબદારી લીધી. આ કાર્યક્રમે ખેરગામના ગ્રામજનોમાં એકતા અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીની ભાવના જગાડી.
આવા કાર્યક્રમો ગ્રામીણ વિસ્તારોમાં પર્યાવરણ જાગૃતિ ફેલાવવા અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા માટે ઉત્તમ ઉદાહરણ છે. ખેરગામ ગ્રામ પંચાયતનો આ પ્રયાસ અન્ય ગામો માટે પણ પ્રેરણારૂપ બની રહેશે.